સ્વાઈન ફ્લૂ સામે એક્શન પ્લાન તૈયાર કરવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે. રાજ્યની સરકાર રાજ્યસભા ચૂંટણીની સ્ટ્રેટેજીમાં વ્યસ્ત રહી અને બીજી તરફ સ્વાઈન ફ્લૂના વાઈરસે માઝા મૂકતા વિતેલા ૯ દિવસમાં જ તેની તિવ્રતા વધી છે અને ૧૧૦ નાગરિકોનાં મૃત્યુ થયાનું બહાર આવ્યું છે.
વિતેલા ૨૪ કલાકમાં વધુ ૯નાં મૃત્યુ સાથે ૧૯૧ નવા દર્દીઓ સ્વાઈન ફ્લૂનો ચેપ લાગ્યો છે. સોમવારે સાંજની સ્થિતિએ રાજ્યમાં ૧,૯૮૧ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે જેમાંથી ૧૭ને તો વેન્ટિલેટર ઉપર છે.
ગુજરાતના લગભગ તમામ શહેરો સહિત ૧૭૨ તાલુકાઓમાં એચ૧એન૧ વાઇરસ તિવ્ર બની રહ્યો છે ત્યારે આ સિઝનમાં ૪,૦૦૦થી વધુ નાગરિકોને તેનો ચેપ લાગ્યો છે.
જુલાઈ મહિનાના અંતમાં ધોધમાર વરસાદ બાદ વિતેલા આઠ વર્ષોમા સ્વાઈન ફ્લૂના રેકોર્ડ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અને ગાઈડલાઈનને અનુસરીને ઓગસ્ટના આરંભે જ ગુજરાત સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો હોત તો ઓગસ્ટમાં માનવ ખુવારી અને નાગરિકો ઉપરના માનસિક પરિતાપ ઓછો થઈ શક્યો હોત ! પરંતુ, સ્વાઈન ફ્લૂ સામે લોકજાગૃતિ, ગુણવત્તા વિહીન ખાદ્ય પદાર્થોના વેચાણ, ગંદકી અને સ્વચ્છતા સામે સરકારે ભારોભાર દુલક્ષ્યતા સેવતા અત્યાર સુધીમાં ૨૮૦થી વધુ નાગરિકોનાં મૃત્યુ થયાં છે.
source: sandesh